અરવલ્લી જીલ્લાની સરહદો સીલ?: રાજસ્થાન બોડર સીલ હોવા છતાં કોરોના હોટસ્પોટ ભીલવાડાના ૬ વેપારીઓ મેઘરજ પહોંચી ગયા
અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર દ્વારા જીલ્લાને આંતરરાજ્યો સાથે જોડતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હોવાની અને પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનો દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તંત્રના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે. આંતરરાજ્ય સરહદ પર ચાલતી લાલીયાવાડીએ તંત્રની પોલ ખોલી નાખતી ઘટના બહાર આવતા
જિલ્લાવાસીઓ ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.રાજસ્થાનમાં કોરોનાના હોટસ્પોટ જાહેર થયેલા કોરોનાથી સંક્રમિત બનેલા ભીલવાડા જીલ્લાના ૬ વેપારીઓ વાહન મારફતે મેઘરજમાં પહોંચતા ભારે હડકંપ મચ્યો હતો. મેઘરજ આરોગ્ય તંત્રને ભીલવાડાના ૬ વેપારીઓ ધંધાના કામકાજ અર્થે આવ્યા હોવાની જાણ થતા ભારે દોડધામ મચી હતી અને ભીલવાડાના ૭ લોકોની ઓળખ કરી તાબડતોડ જીલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરી મોડાસા કોવીડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી તમામના કોરોનાના રિપોર્ટ કરાવવા તજવીજ હાથધરી હતી.રવિવારે રાત્રે રાજસ્થાનના ભીલવાડાના ૬ વેપારીઓ ધંધાર્થે મેઘરજ નગરમાં આવતા આ અંગે મેઘરજ આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ સતર્ક બની ભીલવાડાના ૭ શખ્શોની શોધખોળ હાથ ધરી હતી. આ શખ્સો ખાનગી વાહન સાથે મળી આવતા તમામ લોકોને અટકાવી પ્રાથમિક તપાસ હાથ ધરાતા તમામ લોકો ભીલવાડાના હોવાનું જણાવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો. ૬ વેપારીઓને તાબડતોડ મોડાસામાં આવેલી કોવીડ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આઈસોલેશન વોર્ડમાં ખસેડી મેડિકલ ચેકઅપ કરી ૬ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ કરાવવા સેમ્પલ લઈ મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. અને આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘરજમાં રાજસ્થાનના લોકો અને ધંધાર્થીઓની અવર-જવર થઈ રહી હોવાની માહિતી મેઘરજ આરોગ્ય તંત્રને થતા સતર્ક બન્યું હતું.
કેતન પ્રણામી અરવલ્લી
