મોડાસામાં ખનીજ માફિયાઓના ધંધા બેફામ: રેતી-કપ્ચીની હેરાફેરીથી કોરોનાને પણ આમંત્રણ
કોરોનાની મહામારીમાં લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ છે તેમ છતાં કેટલાક લોકો પોતાની સાંઠ ગાંઠના કારણે બે રોક ટોક ધંધો કરી રહ્યા છે. મોડાસા નગરમાં ખાણ ખનીજ વિભાગની ઢીલી નીતિની તો શું વાત કરીએ, વાત જ થાય તેમ નથી આ નીતિને કારણે ખનીજ માફીયા ફુલ્યાફાલ્યા છે. લોકડાઉન સમયે પણ રેતી કપચીની હેરાફેરી કરવામાં આવી રહી છે. જ્યાં સામાન્ય માણસનો ધંધો રોજગાર બંધ છે ત્યાં આવા તત્વો વિજાપુર અને અન્ય જગ્યાઓથી રેતી મંગાવે છે અને વેચે પણ છે.
કોરોનાના સમયમાં બહારના ડ્રાઇવર અને ક્લીનર કોઇ વિસ્તારમાં આવે અને સંક્રમણ પણ ફેલાવી શકે છે ત્યારે આ તત્વોને કોણ છાવરી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે.રેતી કપચી લાવી તેનો સંગ્રહ ગેરકાયદે રીતે ખુલ્લા પ્લોટોમાં કરવામાં આવે છે ત્યાંથી પછી ઉંચા ભાવે ટ્રેકટર મારફતે કાર્ટીંગ કરવામાં આવે છે. મોડાસા નગરમાં પહાડપુર રોડના નાકા પર આવેલી એક સોસાયટીના પ્રવેશ દ્વાર આગળ જ એક રેતી કપચીના કોન્ટ્રાકટરએ ગેરકાયદેસર ગોડાઉન બનાવ્યું છે. આ સોસાયટીના રહિશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહિશોના ઘર આગળ જ રેતી કપચીના મસ મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. સતત ટ્રેકટર અને ટ્રક-ડમ્પરની આવન-જાવન ચાલુ રહેતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે મહત્વની બાબત એ છે કે ટ્રેકટરમાં રેતી કપચીની હેરા ફેરી કરવા માટે પણ ખાણ ખનીજ વિભાગમાં અગલથી રોયલટી ભરવાની હોય છે પરંતુ માસીક હપ્તાથી બધુ સેંટીંગ થઇ જતું હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં પણ અરવલ્લી જિલ્લામાં હેરાફેરી કરતા મોટા ભાગના ટ્રેકટર પાસે રોયલ્ટી પાસ હોતા નથી .લોકડાઉન દરમ્યાન જ્યારે બધુ જ કામ બંધ છે ત્યારે આ રેતી કપચી ક્યાં લઇ જવામાં આવે છે ? કઇ સાઇટો ચાલુ છે ? શું લોકડાઉનનો નિયમ આ બિલ્ડરોને લાગુ નથી પડતો? તેવી ચર્ચા ચારેકોર થઇ રહી છે.
કેતન પ્રણામી અરવલ્લી
